Tuesday, 5 February 2013

Understanding Navkar.. નવકારની સમજ


Understanding Navkar ...

નવકારની સમજ 

આપણે શા માટે જીવીએ છીએ ...?
શા માટે કેટલાક મનુષ્યોને જીવવું નથી પણ મરવું છે ?

જેમને ફક્ત દુઃખ-અશાંતિ અને તકલીફો હોય તથા સુખશાંતિ અને અનુફૂળતા થવાની કોઈ શક્યતા જણાતી ન હોય તેમને મરવું હોય છે . મતલબ કે બધા જીવોને સુખ-શાંતિ અને આનંદ જોઈએ છે, એટલે કે સુખશાંતિ અને અનુફૂળતાઓ થાય તથા બધી તકલીફો અને દુઃખ-અશાંતિ દૂર થાય એટલા માટે આપણે સૌ જીવીએ છીએ.
આપણે મનુષ્યો માનવશરીરમાં રહેનાર જીવ છીએ. જીવ શરીરનું સંચાલન કરે છે . જ્યારે જીવ શરીર છોડીને ચાલ્યો જાય છે ત્યારે એ શરીર કાંઈ જ કરી શકતું નથી. જીવ વિના માનવશરીર બોલી શકતું નથી, વિચારી શકતું નથી, સ્પર્શ કરી શકતું નથી, સ્વાદ અનુભવી શકતું નથી, ગંધ સૂંઘી શકતું નથી, જોઈ શકતું નથી, સાંભળી શકતું નથી, સૂઈ શકતું નથી, બેસી શકતું નથી, ઊભું  થઇ શકતું નથી, ચાલી શકતું નથી, હેતુપૂર્વક કંઈ જ કરી શકતું નથી.
જીવ વિના શરીર જાણી શકતું નથી, માની શકતું નથી . જીવ વિના શરીર સડવા લાગે છે, સુખશાંતિ અને દુઃખ-અશાંતિ અનુભવી શકતું નથી .
જીવનું સ્વરૂપ આત્મિક છે અને શરીરનું ભૌતિક છે . જીવ ચેતનાવાળો છે અને શરીર જડ છે . જીવ દેખાય એવો નથી અને શરીર દેખાય એવો છે . જીવની શક્તિ સમજી શકે એવી છે પણ શરીરની શક્તિ સમજી ન શકે એવી છે . જીવ અને શરીર બંનેનો નાશ થઇ શકતો નથી, પણ સ્થિતિ બદલી શકે છે . "જ્યારે જીવ શરીર વિના રહેવા લાગે છે ત્યારે તેની સ્થિતિ શાશ્વત કાલ સુધી બદલાતી નથી ." એવું અનુભવી સર્વજ્ઞ કેવળજ્ઞાની પરમ આત્માઓ કહે છે . શરીર વિના શાશ્વત કાલ સુધી રહેનારા જીવો વધારેમાં વધારે સુખશાંતિ સતત અનુભવે છે . તેમને કોઈ અડચણ, પ્રતિકૂળતા, દુઃખ-અશાંતિ અને તકલીફો ક્યારેય થતી નથી . તેઓ અનંત કેવળજ્ઞાની, અનંત શક્તિવાળા હોય છે .

કેવળજ્ઞાનીઓએ દુઃખ-અશાંતિ અને તકલીફો દૂર કરવાનો તથા સુખશાંતિ અને અનુકૂળતાઓ થાય એવો ઉપાય બતાવ્યો છે . જેનું ટૂંકું સ્વરૂપ પ્રાકૃત ભાષામાં આ પ્રમાણે છે :



નમો અરિહંતાણમ્
નમો સિદ્ધાણમ્
નમો આયરિયાણમ્
નમો ઉવજ્ઝાયાણમ્
નમો લોએસવ્વસાહૂણમ્
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણમ્ ચ સવ્વેસિમ્
પઢમં હોઈ મંગલમ્
જેનું ગુજરાતી ભાષામાં આ પ્રમાણે છે :- નમસ્કાર કરું છું અરિહંતોને . નમસ્કાર કરું છું સિદ્ધોને. નમસ્કાર કરું છું આચાર્યોને. નમસ્કાર કરું છું ઉપાધ્યાયોને. નમસ્કાર કરું છું લોક (ભર)ના સર્વ સાધુઓને. આ પાંચ નમસ્કાર સર્વ પાપનો પ્રનાશ કરનાર અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.
આ ઉપાયને નવકાર કહેવામા આવે છે.
આ ઉપાયનું વિસ્તારથી સ્વરૂપ અનંત છે. તેમાંથી થોડું વર્ણન આ પ્રમાણે છે :-
નમસ્કાર ચાર રીતે થાય છે:
1.                   શરીરના બે હાથ જોડીને માથું નમાવીએ, કે કપાળ, બે હાથ અને પગ જમીનને અડકાવીને ખમાસમણું  આપવાથી શારીરિક નમસ્કાર થાય છે.
2.                  મત્થએણ વંદામિનમસ્કાર કરું છું, વંદન કરું છું, પગે લાગું છું વગેરે બોલવાથી વાચિક નમસ્કાર થાય છે.
3.                  કલ્પના કરવાથી કે, "અરિહંતોસિદ્ધોઆચાર્યોઉપાધ્યાયોસાધુઓને આપણે શારીરિક અને વાચિક નમસ્કાર કરીએ છીએ" એ રીતે માનસિક નમસ્કાર થાય છે. અને 
4.                  કેવળજ્ઞાની અરિહંત પરમાત્માઓમાં આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મ હજી બાકી હોવાથી તેમના આત્માના ચાર ગુણો અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરૂલઘુતા અને અવ્યાબાધસ્થિતિ સિવાયના બધા આત્મિક સદ્-ગુણો શાશ્વતકાલ માટે પૂરેપૂરા પ્રગટ થયા છે તથા આત્માના બધા દુર્ગુણો શાશ્વત કાલ માટે પૂરેપૂરા દૂર થયા છે. તેઓ શાશ્વત કાલ માટે જરાય દુરાચારી થતા નથી. તેમનું આયુષ્યકર્મ શાશ્વત કાલ માટે દૂર થતાં તેઓ અવશ્ય અશરીરી સિદ્ધ પરમાત્મા થાય છે.
સિદ્ધ પરમાત્માઓમાં આત્માના બધા સદ્-ગુણો અને સદાચાર શાશ્વત કાલ માટે પૂરેપૂરા પ્રગટ થયા છે, તથા બધા દુર્ગુણો અને દુરાચાર શાશ્વત કાલ માટે પૂરેપૂરા દૂર થઇ ગયા છે.
આચાર્યોઉપાધ્યાયો અને સાધુઓ સર્વ દુર્ગુણ-રહિત અને દુરાચારરહિત થવાના સમ્યક્ (યથાર્થ) પ્રયત્નો કરનારા છે.
અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓ આપણા કરતાં વધારે સદ્-ગુણી તથા સદાચારી છે, એ આપણને સમજાય અને સ્વીકારી શકીએ, ત્યારે આપણા  આત્મામાં તેમના તરફ આદરભાવ અને બહુમાનભાવ થાય, તેમને નમસ્કાર કરીએ એવો ભાવ આપણા આત્મામાં થાય છે. આ રીતે આત્મિક નમસ્કાર થાય છે.

 - મોહનલાલ ધનજી ફુરિયા


ક્રમશ: 

What is Navkaar ?
Understanding Navkaar ...
Why we are living ?


No comments:

Post a Comment