નવકારની સમજ
નવમો લેખ
કેવલજ્ઞાની પરમાત્માઓ અરિહંતોને નમસ્કાર કરું છું. તીર્થંકર કેવળજ્ઞાનીઓ અને સામાન્ય કેવળજ્ઞાનીઓ, બધા અરિને દૂર કરી શક્યા છે. અરિ એટલે દુશ્મન, શત્રુ. હંતાણં એટલે હંમેશ માટે પૂરેપૂરા દૂર કરનારને. જેનાથી દુઃખ-અશાંતિ થાય, તકલીફો થાય, વિઘ્નો આવે, અંતરાય આવે, પ્રતિકૂળતાઓ થાય, અગવડો થાય તથા જેની સજાઓ થાય એવા દુર્ગુણી અને દુરાચારી થવાય તે અરિ ગણાય.
અજ્ઞાન અરિ છે. બધા કેવળજ્ઞાનીઓ સર્વજ્ઞો હોય છે. સર્વજ્ઞો તો સર્વ જીવો દુઃખ-અશાંતિ અને તકલીફોરહિત થાય તથા હંમેશ માટે વધારેમાં વધારે સુખશાંતિ સતત અનુભવતા રહે એવા માર્ગ બતાવતા રહે છે. એ માર્ગ જેટલો ઓછો આવડે એટલું અજ્ઞાન ગણાય.
ગૃહસ્થો જે જે પ્રસંગોમાં રાજી થાય છે એ નાનપણથી જોઈ જોઈને લોકો માની લે છે કે તેનાથી સુખ થાય. આમાં ખરેખર સુખ થાય કે કેમ એની ખાતરી મનુષ્યો કરતાં નથી. આમાં જેનાથી સુખ થાય એવું માન્યું તે ગમે છે, એટલે કે તેનાં તરફ રાગ થાય છે. આ રાગ અરિ છે.
એમ જે જે પ્રસંગોમાં ગૃહસ્થો દુઃખી થાય છે એ નાનપણથી જોઈ જોઈને લોકો માની લે છે કે તેનાથી દુઃખ થાય. આમાં જેનાથી દુઃખ થાય એવું માન્યું તેનાં તરફ અણગમો થાય છે, દ્વેષ થાય છે. આ દ્વેષ અરિ છે.
સર્વજ્ઞો કહે છે કે સંસાર એકાંતે દુઃખ આપનાર છે. જે ફક્ત દુઃખ આપે તેનાથી થોડું અથવા થોડીવાર માટે સુખ થઇ શકે નહીં. એટલે સંસારથી સુખ થયું એમ માન્યું એ મિથ્યાત્વ અરિ છે, ઊલટી માન્યતા છે.
આ સંસાર તરફ રાગ-દ્વેષ એટલે કે ગમો-અણગમો થવા માત્રથી ગમતું મળતું નથી અને અણગમતું દૂર થતું નથી. યોગ્ય પ્રયત્નથી ગમતું મળે છે અને અણગમતું દૂર થાય છે. એટલે માત્ર ગમો-અણગમો નકામો છે.
વળી ગમો-અણગમો થવાથી ગમતું મેળવવાની અને અણગમતું દૂર કરવાની ઈચ્છાઓ થાય છે અને અપેક્ષાઓ રખાય છે. આ ઈચ્છાઓ અને અપેક્ષાઓ અરિ છે એ ઈચ્છાઓ અને અપેક્ષાઓ પ્રમાણે જ્યાં સુધી ગમતું ન મળે અને અણગમતું દૂર ન થાય ત્યાં સુધી અશાંતિ અને દુઃખ થતા રહે છે. એટલે ગમો-અણગમો દુઃખ-અશાંતિ ઉપજાવે છે. એટલે કે આર્તધ્યાન થાય છે, આ આર્તધ્યાન અરિ છે.
વળી ગમતું મેળવવા અને અણગમતું દૂર કરવા પ્રમાણિક પ્રયત્નો કરવા છતાં ગમતું ન મળે અને અણગમતું દૂર ન થાય ત્યારે અપ્રામાણિક પ્રયત્નો કરતાં થઇ જવાય છે, બધાં પાપ કરતાં થઇ જવાય છે, જેની સજાઓ થાય છે. બધાં પાપો અરિ છે.
પાપની સજાઓ થાય ત્યારે દુઃખ-અશાંતિ થાય, તકલીફો થાય, વિધ્નો આવે, અંતરાય આવે, પ્રતિકૂળતાઓ અને અગવડો આવે, દુર્ગુણી અને દુરાચારી થવાય છે. ઝગડા, મારામારી, રૌદ્રધ્યાન થાય છે. આ રૌદ્રધ્યાન અરિ છે. શું આપણે મનુષ્ય દેહ (શરીર, કાયા) છીએ? કે મનુષ્ય દેહમાં રહેનાર જીવ છીએ? મનુષ્ય દેહ જડ છે અને આપણે જીવ ચેતન છીએ એમ બધાં કેવળજ્ઞાનીઓ કહે છે. મનુષ્યદેહનું સંચાલન કરનાર આપણે ચેતન જીવ છીએ. આપણે મનુષ્ય દેહ છીએ એમ જો આપણે માનીએ તો એ માન્યતા અરિ છે.
જે દેહમાં રહીએ છીએ એ દેહ મારું છે, એ દેહના અંગો મારા છે, એ દેહમાં છે એ ઇન્દ્રિયો મારી છે એમ માનીએ તો એ મમત્વ અરિ છે.
નામ મારું છે, ગોત્ર મારું છે, હોદ્દા મારા છે એમ માનીએ તો એ મમત્વ અરિ છે. સગા સંબંધી, દાસ-દાસી મારા છે, એમ માનીએ તો એ મમત્વ અરિ છે. ઘર મકાન મારા છે, જમીન, ખેતર, વાડી, બાગ-બગીચા મારા છે, સોનું, ચાંદી, હીરા, મોતી, રત્નો વગેરે ઝવેરાત મારા છે. કોઈપણ પૌદ્-ગલિક પદાર્થ કે દેહધારી જીવ મારા છે એમ માનીએ તો એ બધું મમત્વ અરિ છે.
કોઈપણ કેવળજ્ઞાની સામાન્ય મનુષ્ય કે ચક્રવર્તી આયુષ્ય પૂરું થતાં શરીર છોડીને હંમેશ માટે શરીરરહિત રહે છે ત્યારે તેમના આત્મામાં પૂરેપૂરા પ્રગટ થયેલા બધાં ક્ષાયિક ભાવ (ગુણો) તેમની સાથે હંમેશ માટે સાથે જાય છે. એ ક્ષાયિક ભાવ ગુણો સિવાય બીજું કંઈ પણ તેમની સાથે જતું નથી. એટલે ખરેખર બીજું બધું પુણ્યના બદલામાં વાપરવા મળે છે. એ પુણ્ય ખલાશ થતાં બીજું બધું જતું રહે છે અથવા એ બધું છોડીને આપણને ચાલ્યા જવું પડે છે. એટલે જીવના ક્ષાયિક ભાવ સિવાય બીજું કંઈ પણ આપણું છે નહીં અને આપણું થઇ શકે એમ નથી.
ગૃહસ્થ કેવળજ્ઞાની ભરતચક્રવર્તી આયુષ્ય પૂરું થતાં હંમેશ માટે શરીર વગર રહેવા લાગ્યા તેમની સાથે ચાંદીની એક ચમચી પણ સાથે ન ગઈ અને કોઈ સગું પણ સાથે જઈ શક્યું નહીં. પણ તેમના આત્મામાં રહેતા બધા અનંત ક્ષાયિક ભાવ એટલે કે ગુણો તેમની સાથે ગયા છે અને ત બધાં હંમેશ માટે પૂરેપૂરા પ્રગટ રહે છે.
ક્રોધથી ક્ષમા અને પ્રીતિ પર આવરણ આવે છે. આ ક્રોધ અરિ છે. માનથી નમ્રતા અને વિનય પર આવરણ આવે છે. આ માન અરિ છે.
માયાથી સરળતા અને મૈત્રી પર આવરણ આવે છે. આ માયા અરિ છે. લોભથી સંતોષ, ક્ષમા, પ્રીતિ, નમ્રતા, વિનય સરળતા અને મૈત્રી પર આવરણ આવે છે. આ લોભ અરિ છે.
જોવાની, સાંભળવાની, અડકવાની, સ્વાદ લેવાની અને સુંઘવાની, આંખ, કાન, ચામડી, મોં અને નાક એ પાંચ ઇન્દ્રિયોના વિષયભોગો, જાતીય ભોગો અને માનસિક વિષયભોગોથી મજા આવે એમ માનીએ તો એ માન્યતા અરિ છે.
જેનાથી ક્રોધ, માન, માયા અને લોભ અરીઓ પેદા થાય એવા નવ નોકષાય હાસ્ય, અહિતકારી બાબતો તરફ થતી રતિ, હિતકારી બાબતો તરફ થતી અરતિ, શોક, ભય, દુર્ગંધ વગેરે તરફ થતી દુ:ગંછા, સ્ત્રીને ભોગવવાનો ભાવ પુરુષ વેદ, પુરુષ સાથે ભોગ ભોગવવાનો સ્ત્રીને થતો ભાવ સ્ત્રીવેદ અને સ્ત્રી તથા પુરુષ એ બંને સાથે ભોગ ભોગવવાનો નપુંસકને થતો ભાવ નપુંસક વેદ, એ નવેય અરિ છે.
આ બધાં અરિને હંમેશ માટે પૂરેપૂરા દૂર કરવા તીર્થંકર થવા માટે સિધ્ધ પરમાત્માના ક્ષાયિક ભાવો અનંત સમ્યક્-ત્વ, સમ્યક્ ચારિત્ર, કેવલજ્ઞાન, કેવળદર્શન, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમતા, ઈચ્છારહિતતા, અપેક્ષારહિતતા, સુખશાંતિ, પ્રસન્નતા અને આનંદ વગેરેથી થતાં આત્મિક લાભ વિશે વિચારતા રહેનાર અને સાથે સાથે સમજતા રહેનારનાં મોહનીય કર્મો ઘટતા જાય છે અને હંમેશ માટે પૂરેપૂરા દૂર થઇ જાય છે.
તેથી મોહનીય કર્મના આધારે ટકી રહેલા જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવર્ણીય કર્મ અને અંતરાય કર્મ હંમેશ માટે પૂરેપૂરા દૂર થઇ જાય છે. ત્યારે અરૂપીપણું, અક્ષય સ્થિતિ, અગુરુલગુ અને અવ્યાબાધ સ્થિતિ સિવાયના બધાં ક્ષાયિક ભાવ હંમેશ માટે પૂરેપૂરા પ્રગટ થઇ જાય છે. ત્યારે તેઓ કેવળજ્ઞાની અરિહંત તીર્થંકર પરમાત્મા થઇ જાય છે.
જેમનું તીર્થંકર થવાનું પુણ્ય નથી તેઓ એ જ સાધના પૂરી કરે છે, તેઓનું કોઈ અરિ ન રહેવાથી તેઓ કેવળજ્ઞાની અરિહંત પરમાત્મા થઇ જાય છે. તેઓ સામાન્ય કેવળજ્ઞાની અરિહંત પરમાત્મા ગણાય છે.
તીર્થંકર કેવળજ્ઞાની અરિહંત પરમાત્માનું આયુષ્ય ખલાસ થાય છે ત્યારે તેમનું તીર્થંકર તરીકેનું પુણ્ય પણ ખલાસ થાય છે. પછી તેઓનો જીવ સામાન્ય કેવળજ્ઞાની અરિહંત પરમાત્મા થઇ જાય છે.
પછી તેમનું નવું આયુષ્ય ન હોવાથી તેઓ હંમેશ માટે શરીર રહિત રહે છે. ત્યારે તેઓ સિદ્ધ પરમાત્મા ગણાય છે.
આવા કેવળજ્ઞાની અરિહન્ત પરમાત્માઓ મારા કરતાં અનંતવાર અનંતગણા મહાન છે એ મને સમજાય છે અને હું સ્વીકાર કરું છું.
અરિહંતોને નમસ્કાર કરું છું.
હર સમય અરિહંતોના ક્ષાયિક ભાવો વિષે વિચારતો રહું અને સાથે સાથે સમજતો રહું.
- મોહનલાલ ધનજી ફુરિઆ