Saturday, 10 August 2013

Understanding Navkar 6.. નવકારની સમજ 6

નવકારની સમજ

છઠો લેખ

મમત્વ એટલે મારું છે એમ માની લેવું. જીવ માની શકે છે. જેનામાં જીવ નથી તે માની શકતા નથી.
અનંત કાળથી આજ સુધી રાજાઓ, ચક્રવર્તીઓ, ઇન્દ્રો અને સમર્થો જીવ વિનાના પદાર્થોને, કોઈ પણ જાતના જીવોને કે નામ વગેરેને પોતાના બનાવી શક્યા નથી અને મર્યા પછી પોતાની સાથે લઇ જઈ શક્યા નથી.
નામ કોનું હોય છે? જ્યારે અમરસિંહ નામધારી મનુષ્ય મરી જાય છે ત્યારે તેનો જીવ  શરીર છોડીને એકલો જતો રહે છે. ત્યારે તે શરીર અમરસિંહ કહેવાતું નથી પણ મડદું કહેવાય છે. એ શરીર છોડી જનારને અમરસિંહનો જીવ ચાલ્યો ગયો કહેવાય છે. એટલે અમરસિંહ નામ શરીરનું કે જીવનું નથી પણ જીવ અને શરીર જ્યાં સુધી સાથે રહે છે ત્યાં સુધી એ જોડીને ઓળખવા માટે નામ રાખેલું હોય છે.
નામ તો જીવન દરમ્યાન બદલાય પણ છે. આંકડાશાસ્ત્ર પ્રમાણે નામ બદલવાથી લાભ થતો હોય કે નુકસાન અટકતું હોય તો નામ બદલવામાં આવે છે. લગ્ન વખતે કેટલીક સ્ત્રીઓનું નામ બદલવામાં આવે છે. સાધુ થનાર, એક્ટર અને એક્ટ્રેસ થનાર નામ બદલે છે. વાલિયા લુંટારાનું નામ વાલ્મિક ઋષિ થઇ ગયેલું.
સગા બદલાતા હોય છે. ભાઈના લગ્ન બહેનની સાથે થતાં પતિ-પત્ની થઇ જાય છે. વિધવા માતા કાકા સાથે પરણતાં કાકી થઇ જાય છે. વિધવા કાકી વિધુર પિતા સાથે પરણતાં માતા થઇ જાય છે. ભૌતિક સ્વાર્થ ઘવાતાં એકનો એક પુત્ર માતા સાથેનો સંબંધ તોડી નાખે છે કે એકના એક પુત્ર સાથે માતા સંબંધ તોડી નાખે છે કે મિત્ર શત્રુ બની જાય છે, બહેન ભાઈ સાથે સંબંધ તોડી નાખે છે. પ્રેમલગ્ન કરનારાઓ છુટા છેડા લઇ લે છે. પોતાનાં પરાયાં થઇ જાય છે.
પુણ્ય ખૂટતાં કરોડપતિ રસ્તે રઝડતો કંગાળ રોડપતિ થઇ જાય છે. મોરબી શહેર પર મોટા ડેમનું પાણી ફરી વળતાં એક વૃદ્ધ કરોડપતિ નજર સામે પોતાની સંપતિ, વાહનો, રાચરચિલું, નાના-મોટાં બધા કુટુંબીઓ તણાઈને દરિયામાં સમાઈ ગયા અને બંગલાઓ ખંડેરમાં ફેરવાઈ ગયા અને પોતે રસ્તા પર આવી ગયા હતા.
આ જગતમાં પોતાનાં શુદ્ધ આત્મા સિવાય જીવનું બીજું કંઈ જ નથી. બીજું બધું ભાડૂતી છે, જે પુણ્યના બદલામાં અમુક સમય સુધી વાપરવા મળે છે. પુણ્ય ખૂટતાં બીજું બધું દૂર થઇ જાય છે અથવા જીવને એ બધું છોડી જવું પડે છે.
શરીરને હું માનનાર બધા મનુષ્યોને મરે ત્યારે અનિચ્છાએ શરીર છોડીને ચાલ્યા જવું પડે છે. ત્યારે મનુષ્યોની હિતકારી અને અહિતકારી ટેવો, સંસ્કારો અને આદતો તેમના આત્માની સાથે જાય છે, સદ્-ગુણીપણું અથવા દુર્ગુણીપણું સાથે જાય છે, સદાચારીપણું અથવા દુરાચારીપણું સાથે જાય છે. પુણ્ય અને પાપ સાથે જાય છે; અજ્ઞાન, ઊંધી માન્યતા (મિથ્યાત્વ), ક્રોધ-માન-માયા-લોભ, પાંચ ઇન્દ્રિઓના વિષયભોગો-જાતીય વિષયભોગો-માનસિક વિષયભોગોમાં સુખબુદ્ધિ-લાલસા-આકર્ષણ-આસક્તિ, શુભ અને અશુભ વિચાર-વાણી-વર્તન કરવાની ટેવ તથા અવિરતિ મનુષ્યોના જીવો સાથે જાય છે. ખાવા-પીવાની, ઊંઘવાની, ડરવાની અને મૈથુન કરવાની ટેવ સાથે જાય છે.
કેવલજ્ઞાનીઓ કહે છે: જીવની જુદી જુદી વિશેષતાઓને ઢાંકી દેનારા આવરણો આઠ પ્રકારના છે.
૧. જ્ઞાનાવરણીયકર્મ, ૨. દર્શનાવરણીયકર્મ, ૩. અંતરાયકર્મ, ૪. મોહનીયકર્મ, ૫. આયુષ્યકર્મ, ૬. નામકર્મ, ૭. ગોત્રકર્મ અને ૮. વેદનીય કર્મ.

આ આઠેય કર્મો અરિ છે અને સમ્યક્ તપથી દૂર કરી શકાય છે. મોહનીયકર્મ શાશ્વત કાલ માટે પૂરેપૂરો દૂર કરવાથી અંતરાયકર્મ, જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીયકર્મ આપોઆપ શાશ્વત કાલ માટે પૂરેપૂરા દૂર થઇ જાય છે. આ ચારેય કર્મો સંપૂર્ણપણે દૂર થવાથી જીવમાં રહેલા અનંત ક્ષાયિક સમકિત, અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદર્શન, અનંત વીર્ય (સમજણ સાથેની શક્તિ) અને અનંત સુખશાંતિ શાશ્વત કાલ માટે પૂરેપૂરા પ્રગટ થાય છે, જ્યારે આયુષ્યકર્મ શાશ્વત કાલ માટે દૂર થાય છે ત્યારે નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મ પણ આપોઆપ શાશ્વત કાલ માટે પૂરેપૂરા દૂર થાય છે. અને અનુક્રમે અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરૂલધુ તથા અવ્યાબાધપણું એ ચાર આત્મિક ગુણો જીવમાં શાશ્વત કાલ માટે પૂરેપૂરા પ્રગટ થાય છે.

- મોહનલાલ ધનજી ફુરિયા

ક્રમશ: