Friday, 28 June 2013

Understanding Navkar 5.. નવકારની સમજ 5

નવકારની સમજ

પાંચમો લેખ
ઝાંઝવાનું જળ (મૃગજળ) રણમાં લૂ (ગરમ હવા) વાય છે ત્યારે દૂરથી પાણી જેવું દેખાય છે. જેને જોઈને તરસ્યું હરણ (મૃગ) તે પીવા માટે જાય છે. ત્યારે તે પાણી જેવું દૂર અને દૂર દેખાય છે. હકીકતમાં તે પાણી નથી હોતું, પણ પાણી હોવાનો ભ્રમ (મોહ) હોય છે.
શું આત્મિક સિવાયના બધા ભૌતિક વિષયભોગો સુખશાંતિ આપનારા છે? કે મૃગજળ જેવા ભ્રામક છે? એ આ રીતે તપાસી શકાય છે:-
જેમાં જે ખરેખર હોય તે ક્યારેક હોય અને ક્યારેક ન હોય એવું થઇ ન શકે. જેમાં જે હોય તે કેટલાક માટે હોય અને કેટલાક માટે ન હોય એવું પણ થઇ ન શકે. જેમાં જે હોય તેનાથી ઊલટું તેમાં હોઈ શકે નહીં.
જે ખરેખર સુખશાંતિ આપનાર હોય તે ક્યારેક સુખશાંતિ આપે અને ક્યારેક સુખશાંતિ ન આપે એવું થઇ શકે નહીં. તે એકને સુખશાંતિ આપે અને બીજાને સુખશાંતિ ન આપે એવું થઇ શકે નહીં. તે ક્યારેય દુઃખ-અશાંતિ આપે નહીં.
વધારેમાં વધારે ભાવતી વાનગી દરરોજ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તે એકની એક વાનગી પેટ ભરીને ખાઈએ અને બીજું કંઈ ન ખાઈએ, તેનાથી જો ખૂબ સુખશાંતિ થાય, બીજા એ એકની એક વાનગી દરરોજ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ખાય અને બીજું કંઈ ન ખાય તો તેમને પણ જો ખૂબ સુખશાંતિ થાય તથા એ પ્રમાણે ખાવાથી આપણને અને બીજા બધાને જો દુઃખ-અશાંતિ ક્યારેય ન થાય તો ખાતરી થાય કે ખરેખર એ વાનગી ખાવાથી સુખશાંતિ થાય.
વધારેમાં વધારે પસંદ હોય એ ગીત દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી જો ઘણી સુખશાંતિ થાય. એ ગીત દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી જો બીજા બધાને ખૂબ સુખશાંતિ થાય તથા એ ગીત દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી આપણને અને બીજાઓને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે ખરેખર એ ગીત સાંભળવાથી સુખશાંતિ થાય.
વધારેમાં વધારે પસંદ હોય એ ચલચિત્ર દરરોજ આખો દિવસ જોતા રહેવાથી જો ઘણી સુખશાંતિ થાય. એ ચલચિત્ર આખો દિવસ જોતા રહેવાથી જો બીજા બધાને ઘણી સુખશાંતિ થાય તથા એ ચલચિત્ર દરરોજ આખો દિવસ જોતા રહેવાથી આપણને અને બીજા બધાને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે ખરેખર એ ચલચિત્ર જોવાથી સુખશાંતિ થાય.
જો વધારેમાં વધારે શોભીએ એવા ઊંચામાં ઊંચા કપડામાંથી એક સરખા રંગો અને ડીઝાઈનના ઘણા ડ્રેસ બનાવીને દરરોજ આખો દિવસ એ ડ્રેસ પહેરીએ અને બીજું કંઈ ન પહેરીએ, તેનાથી જો ઘણી સુખશાંતિ થાય. બીજાઓ એવા ડ્રેસ દરરોજ આખો દિવસ પહેરે અને બીજું કંઈ ન પહેરે, તેનાથી જો તેમને ઘણી સુખશાંતિ થાય તથા એવા ડ્રેસ દરરોજ આખો દિવસ પહેરવાથી આપણને અને બીજા બધાને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે એ ડ્રેસ પહેરવાથી ખરેખર સુખશાંતિ થાય.
વધારેમાં વધારે પસંદ હોય એ રમત દરરોજ આખો દિવસ રમતા રહેવાથી જો ઘણી સુખશાંતિ થાય. એ રમત દરરોજ આખો દિવસ રમતા રહેવાથી બીજા બધાને જો ઘણી સુખશાંતિ થાય તથા એ રમત દરરોજ આખો દિવસ રમતા રહેવાથી આપણને અને બીજા બધાને જો દુઃખ-અશાંતિ ન થાય તો ખાતરી થાય કે ખરેખર એ રમત રમવાથી સુખશાંતિ થાય.
આગેવાનોએ આપણા ઘણા વખાણ કર્યા હોય, તે રેકોર્ડ કરી દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી જો ઘણી સુખશાંતિ થાય. એ રેકોર્ડિંગ દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી જો બીજા બધા સાંભળનારાઓને ઘણી સુખશાંતિ થાય તથા એ રેકોર્ડીંગ દરરોજ આખો દિવસ સાંભળતા રહેવાથી આપણને અને બીજા બધા સાંભળનારાઓને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે એ વખાણ સાંભળવાથી ખરેખર સુખશાંતિ થાય.
ઘણી સત્તા મળવાથી જો દરરોજ ઘણી સુખશાંતિ થાય. બીજા બધાને સત્તા મળવાથી જો દરરોજ ઘણી સુખશાંતિ થાય તથા સત્તા મળવાથી આપણને અને બીજાઓને જો દુઃખ-અશાંતિ ન થાય, તો ખાતરી થાય કે સત્તા મળવાથી ખરેખર સુખશાંતિ થાય.
ગૃહસ્થોને ધનવાન થવું હોય છે. જો ગૃહસ્થને લાખ કરોડ રૂપિયા મળી જાય તો એટલો રાજી થાય છે કે સ્નેહીઓ, સંબંધીઓ, મિત્રો, હિતેચ્છુઓ, ઓળખીતાઓ વગેરે મળીને આખી રાત ઉજવે છે. એ રૂપિયાથી જો તેને ઘણી સુખશાંતિ થઇ હોય, તો હવે એ રૂપિયા તેની પાસે દરરોજ પડ્યા હોવાથી તેને પહેલા દિવસ જેટલી સુખશાંતિ દરરોજ થવી જોઈએ તથા એ રૂપિયાથી તેને દુઃખ-અશાંતિ થવી ન જોઈએ. જો એ પ્રમાણે થાય તો ખાતરી થાય કે ખરેખર ધનવાન થવાથી સુખશાંતિ થાય.
એકબીજાને વધારેમાં વધારે પસંદ હોય એવા પતિ-પત્ની દરરોજ આખો દિવસ મૈથુન કરતાં રહે, તેથી તેમને જો દરરોજ ઘણી સુખશાંતિ થાય. જો બીજા બધા દંપતી દરરોજ આખો દિવસ મૈથુન કરતાં રહે, તેથી તેમને જો દરરોજ ઘણી સુખશાંતિ થાય. તથા આખો દિવસ દરરોજ મૈથુન કરતાં રહેવાથી કોઈ પણ દંપતીને દુઃખ-અશાંતિ ન થાય તો ખાતરી થાય કે મૈથુન કરવાથી ખરેખર સુખશાંતિ થાય.
જેમને ચા પીવાની ટેવ હોય છે તેમને ચા પીવાના સમયે ચા પીવાની ઈચ્છા અને અપેક્ષા શરૂ થાય છે. ત્યારે અશાંતિ, અસ્વસ્થતા, બેચેની અને દુઃખ પેદા થાય છે. મોડું થવાથી તે બધું વધે છે. ચા પીધા પછી એ ઈચ્છા અને અપેક્ષા ન રહેવાથી અશાંતિ, અસ્વસ્થતા, બેચેની અને દુઃખ દૂર થાય છે. તેથી સ્વસ્થતા, શાંતિ અને સુખ અનુભવાય છે. આમ ચા પીવાથી નહીં, પરંતુ ઈચ્છારહિતતા અને અપેક્ષારહિતતાથી ખરેખર સુખશાંતિ થાય છે.
જો ચા પીવાથી સુખશાંતિ થતી હોય તો જ્યારે ચા પીવાની જરાય ઈચ્છા ન હોય અને અપેક્ષા ન હોય ત્યારે ચા પીવાથી સુખશાંતિ થવી જોઈએ. વધારે ને વધારે ચા પીતા રહેવાથી સુખશાંતિ વધતી રહેવી જોઈએ. જેમને ચા પીવાનું જરાય પસંદ નથી તેમને ચા પીવાથી સુખશાંતિ થવી જોઈએ. તથા ચા પીવાથી કોઈ પણ ચા પીનારને દુઃખ-અશાંતિ થવી ન જોઈએ. તો ખાતરી થાય કે ચા પીવાથી ખરેખર સુખશાંતિ થાય.
આમ પાંચ ઇન્દ્રિયોના વિષયભોગો, માનસિક વિષયભોગો અને જાતીય વિષયભોગોથી ખરેખર સુખશાંતિ થાય છે કે કેમ? એની તપાસ અને ખાતરી કરતાં રહેવાથી એ ત્રણેય પ્રકારના વિષયભોગો ભોગવવાથી થોડી કે થોડીવાર માટે પણ સુખશાંતિ થઇ શકતી નથી એ હકીકત ખ્યાલમાં આવવા લાગે છે અને જ્યારે પણ થોડી કે વધારે સુખશાંતિનો અનુભવ થાય છે તે ઈચ્છારહિત અને અપેક્ષારહિત થવાથી થાય છે એ હકીકત સમજાતી રહે છે. જ્યારે આ હકીકત શાશ્વત કાલ માટે યાદ રહી જાય છે ત્યારે પછી કોઈ ખાતરી કરવી પડતી નથી.
અરિહંતોને આ હકીકત શાશ્વત કાલ માટે યાદ રહી ગઈ છે.

- મોહનલાલ ધનજી ફુરિયા

ક્રમશ: